રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
સુરત જિલ્લામાં સરકારી જમીન કબજાની ફરિયાદે તેજી, તકેદારી આયોગે કાર્યવાહી શરૂ કરી
સુરત, તા. ૦૯ એપ્રિલ, ૨૦૨૬:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતના આધારે ગુજરાત તકેદારી આયોગે ગંભીર નોંધ લીધી છે અને પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સરકારી જમીન પર AM/NS સ્ટીલ ઇન્ડિયા કંપની દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. સાથે જ અંદાજે રૂ. ૧૦૬ કરોડની સરકારી વસૂલાત જાણબૂઝીને ન વસૂલ કરવામાં આવી હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.
આ મામલે તકેદારી આયોગે દર્શનભાઈ નાયકને પત્ર મોકલીને ૧૦ દિવસની અંદર અરજીની પુષ્ટિ કરવા તેમજ વધુ આધાર પુરાવા અને વિગતો રજૂ કરવાની વિનંતી કરી છે. જરૂર જણાય તો સોમવારે કચેરી સમય દરમિયાન રૂબરૂ રજૂઆત કરવાની તક પણ આપવામાં આવી છે.
દર્શનભાઈ નાયકએ આ ઘટનાને સરકારની કોર્પોરેટ પક્ષપાતી નીતિનું જીવંત ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારી મિલકત પર ગેરકાયદેસર કબજો કરનાર કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે.
આ મામલો સામે આવતા જિલ્લામાં રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચકચાર મચી છે.